ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત

ઠાસરામાં વીજકરંટથી મોત

ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી દીધો છે.

ઘટનાની વિગત
ઠાસરામાં વીજ કરંટથી મોત- સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આગરવા ગામમાં ખેતરમાં આવેલ કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ ફેલાયો હતો. બે વર્ષની બાળકી મીરાને સૌપ્રથમ કરંટ લાગ્યો. તેને બચાવવા માટે તેની 39 વર્ષની માતા ગીતાબેન અને આઠ વર્ષનો ભાઈ દક્ષેશ દોડી આવ્યા. દુર્ભાગ્યવશ, બંનેને પણ વીજળીએ આંચકો આપ્યો, જેના કારણે ત્રણેના ઘટનાસ્થળેજ મોત થયું. આ ત્રણેને બચાવવા દોડી આવેલી સાસુ લીલાબેનને પણ વીજળીએ જોરદાર આંચકો આપ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક સારવાર માટે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કર્યું હતું. માતા ગીતાબેન, પુત્ર દક્ષેશ અને પુત્રી મીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડાકોર સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાને અકસ્માત મોત તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગામમાં શોકનો માહોલ
એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતથી આગરવા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો હૃદયદ્રાવક રુદન કરી રહ્યા છે, જયારે ગામલોકો પણ આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ વીજળીના સાધનોની સલામતી અને જાળવણીના મુદ્દે ફરી એકવાર ચિંતાનો વિષય ઉભો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *