પહેલગામ આતંકી હુમલાનો ગુજરાતના મુસ્લિમોએ કર્યો સખત વિરોધ: કાળી પટ્ટી સાથે મુસ્લિમોએ જુમ્માની નમાઝ અદા કરી

પહેલગામ આતંકી હુમલાનો મુસ્લિમોએ કર્યો વિરોધ – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમુદાય દેશભરમાં એકજૂટ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આજે, શુક્રવારે, અમદાવાદની લાલ દરવાજા ખાતે આવેલી શાહી જામા મસ્જિદ સહિત રાજ્યની અનેક મસ્જિદોમાં મુસ્લિમ સમુદાયે હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અદા કરી અને આતંકવાદનો વિરોધ નોંધાવ્યો. નમાઝ દરમિયાન દેશ અને વિશ્વમાં શાંતિ, અમન અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી, સાથે જ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજની એકજૂટતા
પહેલગામ આતંકી હુમલાનો મુસ્લિમોએ કર્યો વિરોધ – પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું કે, ગુજરાતના મુસ્લિમ સમાજ અને વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ જુમ્માની નમાઝ દરમિયાન કાળી પટ્ટી બાંધી આતંકવાદ સામે વિરોધ નોંધાવે. તેમણે ઉમેર્યું કે, દેશના 25 કરોડ મુસ્લિમો સહિત 140 કરોડની જનતા આતંકવાદ સામે એકજૂટ છે. ગુજરાતના લગભગ 70 લાખ મુસ્લિમોએ આજે આ વિરોધમાં ભાગ લીધો છે આતંકવાદીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરે, 

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, અમદાવાદની શાહી જામા મસ્જિદ ખાતે નમાઝ દરમિયાન આતંકી હુમલાની નિંદા કરવામાં આવી. તેમણે સરકારને આ ઘટનાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા માટે સરકારને સમર્થન આપવાની વાત કહી.
બાર કાઉન્સિલ ગુજરાતના મેમ્બર ગુલાબ ખાન પઠાણે જણાવ્યું કે, ગઈકાલે ગુજરાતની તમામ મસ્જિદોમાં આતંકી ઘટનાના વિરોધ માટે અપીલ કરવામાં આવી હતી. તેના પરિણામે આજે રાજ્યભરની મસ્જિદોમાં મુસ્લિમ સમુદાયે કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરી. આ ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમના પરિવારજનો માટે દુઆ કરવામાં આવી.
આ ઘટનાએ દેશભરમાં શાંતિ અને એકતાનો સંદેશ આપવાની સાથે આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *