Praveen Togadia : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે (2 જાન્યુઆરી) સુરતમાં વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આગામી મહાકુંભમાં લાખો લોકોની ઉપસ્થિતિ માટે પરિષદ દ્વારા કરાઈ રહેલી વ્યવસ્થાઓ અંગે મીડિયા સાથે માહિતી શેર કરી હતી. તોગડિયાએ હિન્દુઓની બહુમતી જાળવવા માટે કાયદા અને દંડાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે જણાવ્યું કે, “એક વખત લાલ આંખ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થયા હતા, હવે જો લાલ આંખ કરશો તો બાંગ્લાદેશના ચાર ટુકડા થશે.”
મહાકુંભ માટે વિશાળ આયોજન
પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડો લોકોની ઉપસ્થિતિના અનુમાન સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે. તોગડિયાએ જણાવ્યું કે પરિષદ એક લાખ લોકોને દિનચર્યા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરશે, ગરમ પાણી પૂરુ પાડશે, અને એક લાખ ધાબળાનું વિતરણ કરશે. 8,000 લોકોને રોકાણ માટે સગવડ પણ ઉપલબ્ધ કરાશે.
બાંગ્લાદેશ સામે કડક વલણની હાકલ
તોગડિયાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “હિન્દુઓની રક્ષા માટે હવે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે.” તેમણે આશા વ્યક્ત કરી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવશે.
કાયદા અને દંડાનો ઉપયોગ
તેમણે જણાવ્યું કે, હિન્દુઓનો બહુમત જાળવવા માટે કાયદા અને દંડાનો સમતોલ ઉપયોગ કરવો પડશે. “જે રીતે અગાઉ લાલ આંખ કરીને પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા, તે જ રીતે બાંગ્લાદેશ સામે પણ લાલ આંખ કરશો તો તેનો અસ્તિત્વ વિભાજીત થઈ જશે,” તેમ તોગડિયાએ કહ્યું.
આગામી દિવસોમાં હિન્દુઓને સશક્ત કરવા માટે ગ્રામસ્તરે હનુમાન ચાલીસાના પઠન અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.