પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ઉરી-પુલવામા અને પહેલગામ હુમલામાં ગૃહમંત્રીએ જવાબદારી શા માટે ન લીધી?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સુરક્ષા નિષ્ફળતાનો આરોપ લગાવી જવાબદારી ન લેવાનો આક્ષેપ કર્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “શું સેના પ્રમુખે, શું ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું? રાજીનામાની વાત તો છોડો, તેમણે જવાબદારી પણ લીધી નથી.

પ્રિયંકા ગાંધી એ ભાજપ સરકારના 11 વર્ષના શાસન પર સવાલ ઉઠાવતા કહ્યું, “તમે ઇતિહાસની વાત કરો છો, હું વર્તમાનની વાત કરીશ. અમિત શાહના સમયમાં મણિપુર સળગી રહ્યું છે, દિલ્હીમાં રમખાણો થયા, પહેલગામ હુમલો થયો, અને આજે પણ તેઓ ગૃહમંત્રી છે. દેશ જાણવા માંગે છે, શા માટે?” તેમણે ઉમેર્યું કે, ગૌરવ ગોગોઈએ જ્યારે જવાબદારીની વાત કરી ત્યારે રાજનાથ સિંહ માથું હલાવતા હતા, પરંતુ અમિત શાહ હસતા હતા, જે દર્શાવે છે કે સરકાર આ મુદ્દે ગંભીર નથી.

પ્રિયંકાએ 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકારે તે સમયે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, એકને પકડવામાં આવ્યો હતો અને બાદમાં તેને ફાંસી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તત્કાલીન ગૃહમંત્રીએ રાજીનામું આપી જવાબદારી સ્વીકારી હતી. તેમણે સવાલ કર્યો કે, “ઉરી અને પુલવામા હુમલા દરમિયાન રાજનાથ સિંહ ગૃહમંત્રી હતા, આજે તેઓ સંરક્ષણ મંત્રી છે. અમિત શાહના કાર્યકાળમાં પણ આવી ઘટનાઓ થઈ, તો પછી જવાબદારી કોણ લેશે?

પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા બાદ દેશની એકતાને બિરદાવી, પરંતુ સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યું, “પહેલગામ હુમલા બાદ બધા એક થયા. જો ફરીથી આવું થાય, તો અમે ફરીથી સાથે ઉભા રહીશું. દેશ પર હુમલો થાય તો અમે સરકાર સાથે ઉભા છીએ.” જોકે, તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા માટે સેનાની પ્રશંસા કરી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સેનાની સફળતાનો શ્રેય લેવા માંગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *