Unjha Market War Impact : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ઉત્તર ગુજરાતના વેપાર જગત પર વર્તાઈ રહી છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝાના સેંકડો વેપારીઓના કરોડો રૂપિયા હાલ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફસાયા છે. જીરું, વરિયાળી અને ઈસબગુલની નિકાસ કરનારા વેપારીઓ અત્યારે બેવડો આર્થિક ફટકો સહન કરી રહ્યા છે.
Unjha Market War Impact 250 જેટલા કન્ટેનરો રસ્તામાં અટવાયા
યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો પર સર્જાયેલી અસ્થિરતાને લીધે ઊંઝાથી રવાના થયેલા અંદાજે 200 થી 250 જેટલા કન્ટેનરો અધવચ્ચે અટકી પડ્યા છે. વેપારીઓના મતે, આ અટવાયેલા માલની કિંમત અંદાજે ₹200 થી ₹300 કરોડ જેટલી છે. માલ સમયસર નિર્ધારિત સ્થળે ન પહોંચતા વેપારીઓના પેમેન્ટ અટકી ગયા છે, જેના કારણે બજારમાં લિક્વિડિટી (રોકડ)ની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
નૂર ખર્ચમાં ત્રણ ગણો વધારો: વેપારીઓની કમર તૂટી
સ્થાનિક વેપારી અગ્રણીના જણાવ્યા અનુસાર, શિપિંગ લાઇનના ભાડામાં થયેલો તોતિંગ વધારો નિકાસકારો માટે મુસીબત બન્યો છે. જે રૂટનું ભાડું અગાઉ 1500 ડોલર હતું, તે યુદ્ધની સ્થિતિને કારણે વધીને અત્યારે 4500 થી 5000 ડોલર સુધી પહોંચી ગયું છે. આમ, ભાડામાં ત્રણ ગણાથી વધુ વધારો થતા નિકાસ કરવી હવે આર્થિક રીતે પોસાય તેમ નથી.
વીમા કવચનો અભાવ
દરિયાઈ માર્ગો પર વધતા જોખમને કારણે કોઈ પણ વીમા કંપની અત્યારે શિપિંગ લાઇન માટે વીમો આપવા તૈયાર નથી. વીમા વગર આટલી મોટી રકમનો માલ જોખમમાં મૂકવો વેપારીઓ માટે અશક્ય હોવાથી નવી નિકાસ હાલ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં આવે, તો ઊંઝાના મસાલા ઉદ્યોગને ન ભરી શકાય તેવું મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો: કેવી રીતે ભણશે ગુજરાત? શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભારે અછત, જાણો ક્યારે થશે નવી ભરતી

