બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમાં લગભગ 12 કલાક ચર્ચા થઈ હતી. જ્યારે સરકારે બિલને ટેકો આપ્યો હતો, જ્યારે વિપક્ષોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સત્તાધારી NDA અને વિપક્ષી દળો વચ્ચે આને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. બિલ રજૂ કરતી વખતે રિજિજુએ કહ્યું હતું કે અગાઉની યુપીએ સરકારે વકફ કાયદાને અન્ય કાયદાઓ કરતાં શ્રેષ્ઠ બનાવવા માટે તેમાં ફેરફારો કર્યા હતા, તેથી તેમાં નવા સુધારાની જરૂર હતી. લોકસભામાં વકફ સુધારા બિલ પર મતદાન થયું. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલના સમર્થનમાં 288 વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 વોટ પડ્યા.
NDAના સાથી પક્ષો-જનતા દળ (યુનાઇટેડ) [JD(U)], તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) -એ બિલને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’એ આ બિલને બંધારણ વિરોધી ગણાવીને તેનો જોરદાર વિરોધ કરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોએ તેને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે.ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ બિલ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે. જો કે સંખ્યાત્મક સંખ્યાના આધારે એનડીએ લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે. ગઠબંધન પાસે 293 સાંસદો છે, જ્યારે બિલ પસાર કરવા માટે 272 મતોની જરૂર પડશે.