CM Bhupendra Patel એ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
એવોર્ડ પ્રાપ્ત કરેલ સૌ ગુરુજનોને હૃદયથી અભિનંદન અને શુભેચ્છાઓ.#TeachersDay pic.twitter.com/CpKKuP7yF9
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2025
CM Bhupendra Patel : શિક્ષણ પ્રધાન ડૉ. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાને રાજ્યના ૩૦ શ્રેષ્ઠ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત કર્યા અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા. પટેલે જણાવ્યું કે માતા-પિતા પછી શિક્ષકો જ બાળકના મન પર ઊંડી અસર કરે છે. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે વાત્સલ્યનો સંબંધ છે. તેમણે શિક્ષકોને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી.તેમણે કહ્યું કે કોઈ કામ નાનું નથી, પણ જે કાર્ય મળે તેને નિષ્ઠાપૂર્વક નિભાવવું એ સાચું શિક્ષણકાર્ય છે. આચાર્ય ચાણક્યનું સૂત્ર ટાંકીને તેમણે શિક્ષકની મહત્તા દર્શાવી, જણાવ્યું કે ગુરુ ભગવાનનાં દર્શન પણ કરાવી શકે છે. સ્વામી વિવેકાનંદને યાદ કરીને તેમણે કહ્યું કે શિક્ષણ વ્યક્તિને ચારિત્ર્યવાન બનાવે છે. શિક્ષકની સકારાત્મકતા તેમની સૌથી મોટી મૂડી છે. તેમણે ‘નમો લક્ષ્મી’, ‘નમો સરસ્વતી’ અને નવી શિક્ષણ નીતિનો લાભ લઈને વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નમાં જોડાવા અનુરોધ કર્યો.
શિક્ષણ પ્રધાન ડિંડોરે શ્રી કૃષ્ણ, ચાણક્ય, વિનોબા ભાવે અને કાકાસાહેબ કાલેલકરનાં ઉદાહરણ આપીને ગુરુઓનું ભારતીય સંસ્કૃતિમાં યોગદાન યાદ કર્યું. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકોના પરિશ્રમની પ્રશંસા કરી અને મહારાષ્ટ્રના શિક્ષક રણજીતસિંહ દિસાલે, જેમણે ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવ્યું, તેમનું ઉદાહરણ આપ્યું.