Dadi Ratan Mohini Passed Away : દાદી રતન મોહિનીનું અવસાન: 101 વર્ષની ઉંમરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા

Dadi Ratan Mohini Passed Away

Dadi Ratan Mohini Passed Away :  બ્રહ્માકુમારી સંસ્થાની મુખ્ય પ્રશાસક અને અનેક યુગોથી આધ્યાત્મિક માર્ગદર્શન આપતી દાદી રતન મોહિનીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આજે રાત્રે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ 101 વર્ષની વિરાટ ઉંમરે પણ બ્રહ્માકુમારીના કાર્યમાં સતત સક્રિય રહ્યાં હતાં.

સંસ્થાના પ્રવક્તા બીકે કોમલે માહિતી આપી હતી કે દાદીનો પાર્થિવ દેહ મંગળવારે અમદાવાદથી આરામભવન શાંતિવન, આબુ રોડ ખાતે લાવવામાં આવશે. જ્યાં 2 દિવસ સુધી દાદીના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 10 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે.

માત્ર 13 વર્ષની ઉંમરે સંસ્થામાં પ્રવેશ
દાદી રતન મોહિનીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ (સિંધ – હાલનું પાકિસ્તાન)માં થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિક ઝુકાવ ધરાવતા દાદીજી માત્ર 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા હતા. તેમનું મૂળ નામ લક્ષ્મી હતું. સંસ્થાના વિકાસમાં તેમનું યોગદાન અણમોલ રહ્યું છે.

બ્રહ્માકુમારી સંસ્થામાં તેમના મહત્વપૂર્ણ હોદ્દાઓ
દાદી રતન મોહિની વિવિધ જવાબદારીભર્યા હોદ્દાઓ પર રહી ચુક્યાં હતાં, જેમ કે:

મુખ્ય સંચાલક, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય

ગવર્નિંગ મેમ્બર, રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર

યુવા વિભાગના અધ્યક્ષ

પર્સનલ એડમિનિસ્ટ્રેશન વિભાગના ડિરેક્ટર

ટિચર્સ ટ્રેનિંગ કાર્યક્રમના માર્ગદર્શક

70,000 કિ.મી.થી વધુ પદયાત્રા
દાદીજી આધ્યાત્મિક જાગૃતિ માટે સમગ્ર જીવન દરમિયાન હજારો કિલોમીટર પદયાત્રા કરી હતી. 1985થી શરૂ કરેલી આ યાત્રાઓમાં તેઓ 2006માં 31 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચુક્યાં હતાં. તેમનો અંદાજિત પદયાત્રાનો આંકડો 70 હજાર કિ.મી.થી વધુ રહ્યો છે.

હજારો બહેનોને આપ્યું માર્ગદર્શન
દાદી રતન મોહિનીએ દેશભરમાં વિવિધ સેવાકેન્દ્રો પર કાર્યરત 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી હતી. સંસ્થામાં જોડાવા ઇચ્છુક બહેનો માટે તેઓ અધ્યાત્મ, સમર્પણ અને સેવાના પાટા પર દિશા દર્શાવનારી રહી હતી.

વિશ્વભરમાં પ્રતિષ્ઠા
દાદીજીના શતાબ્દી વર્ષ 2024માં શાંતિવનમાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેમાં 70 દેશોના 25 હજારથી વધુ મહાનુભાવોએ હાજરી આપી હતી. દાદીજીને જીવનભર વિશ્વશાંતિ અને માનવમૂલ્યોના પ્રચાર માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યાં હતાં.

વિખ્યાત મુલાકાતો
દાદી રતન મોહિનીના માર્ગદર્શનથી અનેક મહાનુભાવો પ્રભાવિત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રહ્માકુમારી સંસ્થા મુલાકાતે આવ્યા હતાં ત્યારે દાદી સાથે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આબુ રોડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં દાદીજી સાથે સંવાદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *