કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.

આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા
કડી વિધાનસભા બેઠક  -આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે એસ.સી. વિભાગના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાની પસંદગી કરી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, “કડી અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જનતાના સમર્થનથી જીત હાંસલ કરશે.” તેમણે ઉમેર્યું કે, “આ ચૂંટણીમાં AAPનો ડંકો વાગશે, અને કડી તથા વિસાવદરની જનતા ભાજપ અને કોંગ્રેસના ખોટા વચનોને નકારી કાઢશે.”

ભાજપમાં ટિકિટ માટે દાવેદારોની ભીડ
ભાજપે હજુ સુધી કડી બેઠક માટે પોતાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. લોક ગાયક કાજલ મહેરિયાએ કડી બેઠક માટે ટિકિટ માગી છે, જેના કારણે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઉપરાંત, ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાને ટિકિટ આપવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે. ભાજપના નેતા નીતિન પટેલે જણાવ્યું કે, “કડી વિધાનસભા ભાજપનો ગઢ છે, અને પાર્ટી કાર્યકરો સાથે સંકલન કરીને જીતની કામગીરી કરશે.”

કોંગ્રેસ હજુ ઉમેદવારની જાહેરાતથી દૂર
કોંગ્રેસે કડી બેઠક માટે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી, પરંતુ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટિકિટ આપવાની ચર્ચા છે. જોકે, પાર્ટીની અંદર જૂથવાદ અને રાજકીય ડખાંના કારણે ઉમેદવારની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. નોંધપાત્ર છે કે, કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને કડી બેઠકના પ્રભારી તરીકે જવાબદારી સોંપી હતી, પરંતુ તેમણે આ જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી.

કડી બેઠકનું મહત્વ
કડી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન ધારાસભ્યના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. આ ચૂંટણી રાજ્યના રાજકીય સમીકરણોને અસર કરી શકે છે, કારણ કે AAP ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આક્રમક રીતે પ્રચાર કરી રહી છે.

આ પણ વાંચો-  ચંડોળા તળાવ ડિમોલિશન કેસ: ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાંએ સરકાર પર કર્યા પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *