ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ
ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે, પરંતુ લોકોને ગભરાવાની જરૂર નથી.
અમદાવાદમાં 2 વર્ષની બાળકી સહિત 11 કેસ
ગુજરાત કોરોના કેસ- અમદાવાદ શહેરના નવરંગપુરા, ગોતા, બોપલ, નિકોલ, વટવા, નારોલ, દાણીલીમડા અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે, આ કેસમાં એક 2 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરી છે. ઓમિક્રોન વેરિએન્ટના કેસ હોવાથી હોમ આઈસોલેશનમાં સારવાર શક્ય છે.
આરોગ્ય વિભાગની તૈયારીઓ
આરોગ્ય વિભાગે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ 20,000 લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે, શરદી, ખાંસી કે ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવવી.
કોરોનાનો ઈતિહાસ અને હાલની સ્થિતિ
સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી 11,101 લોકોના મોત થયા છે. હાલના 13 એક્ટિવ કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લીધાં છે. રાજ્ય સરકારે હજુ સુધી કોરોના અંગે કોઈ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી નથી.
લોકો માટે સૂચના
આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપી છે. કોરોનાના વધતા કેસને લઈને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *