ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી, સુરતમાં 2 નવા કેસ, અમદાવાદમાં 20 કેસ નોંધાયા

ગુજરાત કોરોના કેસ 2025

ગુજરાત કોરોના કેસ 2025- ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં બે નવા કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કોરોનાના વધતા જોખમનો સંકેત આપે છે.

સુરતમાં બે નવા કેસ
ગુજરાત કોરોના કેસ 2025- સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજે બે નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે 2023ના ઓગસ્ટ બાદ પ્રથમ કેસ છે. આ કેસમાં એક 27 વર્ષીય મહિલા, જે 17 મે, 2025ના રોજ વિશાખાપટનમથી સુરત આવી હતી, અને બીજી 25 વર્ષીય મહિલા, વેસુની રહેવાસી, પોઝિટિવ જણાઈ છે. બંને દર્દીઓને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર છે. બંનેએ કોવિડ-19 રસીના બે ડોઝ લીધેલા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગરના GBRC ખાતે મોકલવામાં આવ્યા છે.

અમદાવાદમાં એક દિવસમાં 20 કેસ, આઇસોલેશન વોર્ડ તૈયાર
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે શહેરમાં 5 કેસ નોંધાયા હતા, જ્યારે એક જ દિવસમાં 20 નવા કેસ સામે આવ્યા, જેના કારણે એક્ટિવ કેસનો આંકડો 31 પર પહોંચ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 1200 બેડની સુવિધા અને 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક સાથે તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એસવીપી, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા અપીલ કરી છે.

રાજ્યમાં મે મહિનામાં 40 કેસ, ટેસ્ટિંગ વધ્યું
ગુજરાતમાં મે 2025માં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં કુલ 40 કેસ નોંધાયા છે, જેમાંથી 33 એક્ટિવ છે. આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે, જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટ અને ભરૂચ સિવિલ હોસ્પિટલો પણ સતર્ક બની છે, જ્યાં રાજકોટમાં 20 બેડનો ખાસ કોવિડ વોર્ડ અને વડોદરામાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

તબીબોની સલાહ: ગભરાશો નહીં, સાવચેતી રાખો
તબીબોનું કહેવું છે કે હાલના કેસ મોટાભાગે ઓમિક્રોન JN.1 વેરિઅન્ટના છે, જે હળવા લક્ષણો ધરાવે છે. ગભરાવાને બદલે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ભીડવાળી જગ્યાઓ ટાળવી, માસ્ક પહેરવું અને હાથની સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

આ પણ વાંચો – મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *