મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે?

નશીલી દવાઓનું બિન્દાસ્ત વેચાણ

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ – વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર મહેમદાવાદના કેટલાક મેડિકલ સ્ટોર્સ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને દવાઓનું વેચાણ કરી રહ્યા છે. આવા સીરપ, જેમાં કોડીન જેવા નશાકારક તત્વો હોય છે, યુવાનોમાં નશાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ ઉપરાંત, આવી દવાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહ્યો છે, જે શહેરની સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યો છે.  અહેવાલ મુજબ, રાજ્યના 60 ટકાથી વધુ મેડિકલ સ્ટોર્સ પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચી રહ્યા છે, જે ડ્રગ્સ એક્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ફાર્મસી લાયસન્સનો દુરુપયોગ
શહેરની અનેક દવાની દુકાનો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટના નામે લાયસન્સ મેળવીને ચલાવવામાં આવે છે, પરંતુ ફાર્માસિસ્ટની હાજરી વિના જ આ દુકાનો ધમધમે છે. આવા ફાર્માસિસ્ટોને મહિને 5,000 થી 10,000 રૂપિયા ચૂકવીને તેમના સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું ઉલ્લંઘન છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવી દુકાનો સામે નિયમિત તપાસ હાથ ધરવી જોઈએ, પરંતુ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરોની નિષ્ક્રિયતાના લીધે આવી પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે.

યુવાનો અને આરોગ્ય પર અસર
નશીલી કફ સીરપ અને દવાઓના સેવનથી યુવાનો નશાખોરીના રવાડે ચડી રહ્યા છે, જેનાથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ રહ્યું છે. આવા નશાકારક પદાર્થોનું સેવન લાંબા ગાળે ગંભીર બીમારીઓ અને વ્યસનનું કારણ બની શકે છે. વધુમાં, આ દવાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હોવાનું પણ સામે આવ્યું છે, જે સામાજિક સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે. સુરતમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી, પરંતુ મહેમદાવાદમાં હજુ સુધી આવી કોઈ નોંધપાત્ર કાર્યવાહી જોવા મળી નથી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા આ મામલે સૌથી મોટો પ્રશ્ન ઉભો કરે છે. ફાર્મસી એક્ટમાં 2024માં થયેલા સુધારા અનુસાર, પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનારાઓ સામે 1 થી 2 લાખ રૂપિયાનો દંડ, ત્રણ મહિનાની જેલ અને લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે, પરંતુ આ નિયમોનું અમલીકરણ નબળું હોવાનું જોવા મળે છે.

પોલીસની કાર્યવાહી: બે કેસમાં ધરપકડ

મહેમદાવાદ પોલીસ અને એસઓજીની સતર્કતાથી આ નશીલા કારોબાર પર થોડો અંકુશ લાગ્યો છે. પ્રથમ કેસમાં, એસઓજીને બાતમી મળી હતી કે ઇકબાલ સ્ટ્રીટમાં ભાડે રહેતો શખ્સ સકિલ મીયાં મલેક ગેરકાયદેસર રીતે કોડેઇન યુક્ત નશીલી સીરપનું વેચાણ કરી રહ્યો હતો. આ શખ્સ યુવાનોને નશાની લતે ચઢાવવાનું કામ કરતો હતો. એસઓજીએ રેઇડ કરીને સકિલની ધરપકડ કરી અને તેની પાસેથી નશીલી સીરપ જપ્ત કરી. જોકે, જે આ સીરપનું હોલસેલમાં વેચાણ કરનાર જીમિત સોની હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.

બીજા કેસમાં, ખાત્રેજ દરવાજા બહાર આઇસા મસ્જિદ પાસેના ખેતરમાંથી મહેમદાવાદ પોલીસે ગાંજાનો ધંધો કરતા મકરૂદ્દીન મલેકની ગાંજાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. આ આધેડ શખ્સ પટેલાદ ગામનો વતની છે અને શહેરમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આ બંને કેસે શહેરમાં નશીલા પદાર્થોના વધતા પ્રભાવને ઉજાગર કર્યો છે.

આ પણ વાંચો – મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *