Iran America Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના ઐતિહાસિક સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ હવે ઈરાન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ડોનાલ્ડ ટ્રમ્પને એક સ્પષ્ટ અને સીધો સંદેશ આપતા જણાવ્યું છે કે, જો ઈરાન પર અમેરિકન હુમલા બંધ કરી દેવામાં આવશે, તો ઈરાનની સેના પણ તાત્કાલિક પોતાની જવાબી કાર્યવાહી રોકી દેશે.
Iran America Ceasefire: હોર્મુઝ સ્ટ્રેટ’માંથી સુરક્ષિત માર્ગ, પણ સેનાની નજર હેઠળ
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ વતી સત્તાવાર નિવેદન જાહેર કરતા અરાઘચીએ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે, આગામી બે અઠવાડિયા માટે ‘હોર્મુઝ સ્ટ્રેટ’માંથી જહાજોનું સુરક્ષિત આવાગમન શક્ય બનશે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ છૂટછાટ ટેકનિકલ મર્યાદાઓ અને ઈરાનની સશસ્ત્ર સેનાના સીધા સંકલન હેઠળ જ રહેશે.
Statement on behalf of the Supreme National Security Council of the Islamic Republic of Iran: pic.twitter.com/cEtBNCLnWT
— Seyed Abbas Araghchi (@araghchi) April 7, 2026
ઈરાને પાકિસ્તાનના PM અને આર્મી ચીફનો માન્યો આભાર
આ ઐતિહાસિક યુદ્ધવિરામ કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર પાકિસ્તાનનો ઈરાને ખુલ્લા દિલથી આભાર માન્યો છે. અરાઘચીએ પોતાના નિવેદનમાં કહ્યું, “હું મારા પ્રિય ભાઈઓ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરનો આ ક્ષેત્રમાં યુદ્ધ સમાપ્ત કરવાના તેમના અથાક પ્રયાસો બદલ હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.”
પ્રસ્તાવના આદાન-પ્રદાનથી શાંતિનો માર્ગ મોકળો
અરાઘચીએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનના PM ની વિનંતી બાદ, અમેરિકાએ તેના 15-મુદ્દાના પ્રસ્તાવના આધારે વાટાઘાટોની વિનંતી કરી હતી. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના 10-મુદ્દાના પ્રસ્તાવને વાતચીતના સામાન્ય આધાર તરીકે સ્વીકારી લીધો છે. આ પરસ્પર સમજૂતી બાદ જ ઈરાને પોતાના સંરક્ષણાત્મક અભિયાનોને રોકવાની અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં થશે અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન: ઈરાને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, પણ આપી આ મોટી ચેતવણી!

