Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો.
Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની સેનાની શક્તિ અને નિશ્ચયનું પ્રતીક છે. તેમણે કહ્યું, “પાકિસ્તાનને આ કાર્યવાહીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત આતંકવાદ સામે ચૂપ નહીં રહે. હવે પાકિસ્તાન આવા કૃત્યો કરતાં અચકાશે.” તેમણે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સેનાને આપેલી છૂટની પણ સરાહના કરી હતી.
નોંધનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિને વધુ આક્રમક બનાવી અને સોમવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું. આ ગુપ્ત કાર્યવાહી હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે.