US Iran Talks Islamabad :અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો કૂટનીતિક વળાંક આવ્યો છે. ઈરાને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ હવે અમેરિકા સાથે 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સીધી વાતચીત શરૂ થશે. ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને એક 10 મુદ્દાનો વિસ્તૃત પ્રસ્તાવ પણ સોંપ્યો છે.
US Iran Talks Islamabad: શું છે ઈરાનના 10 મુદ્દાના પ્રસ્તાવમાં?
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, અમેરિકાને સોંપવામાં આવેલા પ્રસ્તાવમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે:
‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) માંથી સુરક્ષિત પરિવહન.
ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાંથી મુક્તિ.
મધ્ય પૂર્વના સૈન્ય મથકો પરથી અમેરિકન સેનાની સંપૂર્ણ વાપસી.
“અમારો હાથ હજુ પણ ટ્રિગર પર છે…”
સીઝફાયર અને વાતચીતની તૈયારીઓ વચ્ચે પણ ઈરાનની ‘સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ’ એ એક આકરી ચેતવણી આપી છે. કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે કૂટનીતિનો અર્થ એ નથી કે જમીન પર યુદ્ધ પૂરું થઈ ગયું છે. નિવેદનમાં કહેવાયું છે કે, “આ વાતચીતનો અર્થ યુદ્ધનો અંત નથી. અમારા હાથ હજુ પણ ટ્રિગર પર છે અને દુશ્મનની કોઈપણ ભૂલનો પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે.”
ઈસ્લામાબાદમાં 15 દિવસ ચાલશે વાટાઘાટો
પાકિસ્તાનમાં થનારી આ ઐતિહાસિક બેઠક લગભગ 15 દિવસ સુધી ચાલવાની સંભાવના છે, અને જો બંને પક્ષો સહમત થશે તો આ સમયગાળો વધારી પણ શકાશે. ઈરાને 2 અઠવાડિયાના યુદ્ધવિરામ (સીઝફાયર) ને પોતાની “જીત” ગણાવી છે. વ્હાઇટ હાઉસે પણ સંકેત આપ્યો છે કે જેવું ઈરાન વૈશ્વિક તેલ સપ્લાય માટે મહત્વપૂર્ણ એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ને ખોલશે, કે તરત જ સીઝફાયર ઔપચારિક રીતે લાગુ થઈ જશે.
ઈરાને પાકિસ્તાનનો માન્યો આભાર
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે જો ઈરાન પર થતા હુમલા અટકશે તો તેઓ પણ પોતાના હુમલા રોકશે. તેમણે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે ડોનાલ્ડ ટ્રમ્પને મનાવવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરનો વિશેષ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: મહાયુદ્ધ ટળ્યું! ડોનાલ્ડ ટ્રમ્પે કરી યુદ્ધવિરામની જાહેરાત, અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર

