સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી

એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનામાં નિર્ણય લેવો ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે ચુકાદામાં કહ્યું કે કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ન્યાયિક સમીક્ષાને આધિન છે.

 તમિલનાડુના રાજ્યપાલે પેન્ડિંગ બિલોને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. SC એ કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો અને સંબંધિત આદેશ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 201 મુજબ, જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રપતિએ તેને પોતાની સંમતિ આપવી પડશે અથવા તો અસહમતિ વ્યક્ત કરવી પડશે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

ખંડપીઠે કહ્યું, કાયદાની તે સારી રીતે સ્થાયી સ્થિતિ છે કે જો જોગવાઈમાં કોઈ સમય મર્યાદા નિર્દિષ્ટ ન હોય તો પણ, સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી મુક્ત ન કહી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ત્રણ મહિનાથી વધુનો વિલંબ થાય તો યોગ્ય કારણો નોંધવામાં આવે અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવામાં આવે. “અમે માનીએ છીએ કે રાષ્ટ્રપતિએ સંદર્ભ પ્રાપ્ત થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલો પર નિર્ણય લેવો જરૂરી છે,” બેન્ચે નિર્દેશ આપ્યો.

 

આ પણ વાંચો –  railways news : ૧૧ થી ૧૩ એપ્રિલ સુધી ઘણી ટ્રેનો પ્રભાવિત થશે, યાદી જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *