Worker dies : અમદાવાદમાં ગટરની અંદર ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મૃત્યુ થવાની ઘટના બની હતી. જેમાં બોડકદેવ સુભાષપાર્ક વિસ્તારમાં ગટરની સફાઈ કરવા દરમિયાન ગટરમાં ઉતરેલા કામદારનું મોત થયું હતું અને હવે મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાકટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદમાં સફાઈ કામદારનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં સફાઈ કામદારનું મોત નિપજવાની ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. 11મી માર્ચનાં રોજ બોડકદેવ સુભાષપાર્ક જીનમંગલ બંગ્લોની સામે નયનદીપ એપાર્ટમેન્ટની બાજુમાં રોડ પર ગટરની કામગિરી કરી રહ્યા હતા, આ દરમિયાન સફાઇકર્મીને દોરડુ પકડાવી ગટરની અંદર ઉતારવામાં આવ્યા બાદ હાથમાંથી દોરડુ છટકી જતાં ગટરમાં પડી ગયા હતા અને ગેસની ગુગળામણથી તેનું મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ત્રણ લોકો સામે ફરિયાદ
જો કે આ મામલે મૃતકનાં પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાવવામાં આવી છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોન્ટ્રાકટર પ્રવિણભાઈ અરજણભાઈ ચૌહાણ, મહેશભાઈ અરજણભાઈ ચૌહાણ તેમજ અશ્વિનભાઇ નાનાભાઇ પ્રજાપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ પોલીસ ફરીયાદ નહિ કરવાનું અને પાછળથી સમજી લેવાની વાત કરી હતી.