Amit Thaker : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન અમદાવાદમાં એક અત્યંત સૂચક રાજકીય મુલાકાત જોવા મળી છે. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે જામિયા ઇબ્ને અબ્બાસના પ્રમુખ અને જાણીતા મુફ્તી રીઝવાન તારાપુરી સાથે એક વિશેષ શુભેચ્છા મુલાકાત કરી હતી.
Amit Thaker: સરખેજ વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો અંગે કરી રજૂઆત
AMC ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી આ ખાસ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, બુદ્ધિજીવીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુફ્તી રીઝવાન તારાપુરીએ સરખેજ વિસ્તારને સ્પર્શતા પાયાના પ્રશ્નો ધારાસભ્ય સમક્ષ મૂક્યા હતા. જેમાં ખાસ કરીને પીવાનું પાણી, આરોગ્યની સુવિધાઓ, ગટર વ્યવસ્થા અને શિક્ષણ (એજ્યુકેશન) સંબંધિત સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવા અને નક્કર પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી.

‘નજર બદલો તો નજારો બદલાઇ જશે’: ધારાસભ્ય અમિત ઠાકર
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મુફ્તી રીઝવાન તારાપુરી અને સ્થાનિકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળીને આ તમામ પ્રશ્નોના સત્વરે નિરાકરણની ખાતરી આપી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મુસ્લિમ આગેવાનોને સંબોધતા ધારાસભ્ય અમિત ઠાકરે એક માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, “નજર બદલો તો નજારો બદલાઇ જશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વિકાસના કાર્યોમાં સહભાગી થાવ. ભારતીય જનતા પાર્ટી (BJP) વિકાસ માટે ક્યારેય કોઈ ભેદભાવ કરતી નથી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના અનેક મુસ્લિમ દેશો પણ પસંદ કરી રહ્યા છે અને સન્માન આપી રહ્યા છે. જ્યારે વિકાસ માટે હાથ લંબાવ્યો છે, ત્યારે પરિવર્તન પણ જરૂરી છે. જો તમે સાથ આપશો તો વિસ્તારનો ખૂબ સારી રીતે વિકાસ થશે.”ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય દ્વારા મુસ્લિમ આગેવાનો સાથેની આ બેઠક અને ‘વિકાસ માટે પરિવર્તન’ ની અપીલ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: નીતિન પટેલનો જાદુ ચાલ્યો! મતદાન પહેલા જ ભાજપે કડીમાં મેળવી બહુમતી

