Gujarat ST Bus Pass Scheme રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ભાડામાં રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે, જેથી રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે.
મુસાફરોના ભાડામાં 50 ટકા આર્થિક રાહત
મુસાફરોના હિતમાં નિગમે પાસ યોજનાના માળખામાં મહત્વના ફેરફારો કર્યા છે: અગાઉ માસિક પાસ માટે મુસાફરે 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે, હવે માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ સુધી મુસાફરી કરી શકાશે.
ત્રિમાસિક પાસ યોજના: ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ 54 દિવસનું ભાડું લેવાતું હતું, જેના સ્થાને હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે.
2.5 લાખ નોકરિયાતો અને વેપારીઓને સીધો ફાયદો
નિગમ દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે 2.5 લાખથી વધુ નોકરિયાતો, શ્રમિકો અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. આનાથી મુસાફરો એસ.ટી. નિગમની સલામત, સુવિધાજનક અને ભરોસાપાત્ર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા તરફ પ્રેરાશે.

