દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહેરૌલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદનલાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, આદર્શ નગર બેઠકના પવન શર્મા અને બિજવાસન બેઠકના ધારાસભ્ય બીએસ જૂનના નામ સામેલ છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોએ તેમના પત્રમાં કહ્યું છે કે પાર્ટી હવે ઈમાનદાર વિચારધારાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે જેના પર આમ આદમી પાર્ટીનું નિર્માણ થયું હતું. હું આમ આદમી પાર્ટીની આ હાલત જોઈને ખૂબ જ દુઃખી છું. પાલમના વિધાનસભ્ય ભાવના ગૌરે પોતાના રાજીનામામાં કહ્યું છે કે મેં પાર્ટીમાંથી સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.
મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજીનામાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે હું ઈમાનદારીની રાજનીતિ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ આજે ઈમાનદારી ક્યાંય દેખાતી નથી. મેં મહેરૌલી વિધાનસભા બેઠક પર છેલ્લા 10 વર્ષથી સતત 100 ટકાથી વધુ પ્રમાણિકતા સાથે કામ કર્યું છે. મહેરૌલીના લોકો જાણે છે કે મેં ઈમાનદારીની રાજનીતિ, સારા વર્તનની રાજનીતિ અને કામની રાજનીતિ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી હવે સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે.