Garudeshwar Demolition : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સરકારી જમીન અને સત્તાના દુરુપયોગનો એક મોટો મામલો સામે આવ્યો છે. વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા 11 ઉચ્ચ અધિકારીઓને ફાળવવામાં આવેલા પ્લોટ પર કરવામાં આવેલા નિયમ વિરુદ્ધના બાંધકામોને વહીવટી તંત્ર દ્વારા રવિવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરીને તોડી પાડવામાં આવ્યા છે.
Garudeshwar Demolition : શું છે સમગ્ર વિવાદ?
વર્ષ 2019માં 11 ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જોકે, અધિકારીઓ દ્વારા પ્લોટની ફાળવણી બાદ સમયસર બાંધકામ કરવામાં આવ્યું ન હતું. વધુમાં, જે અધિકારીઓએ બાંધકામ કર્યું હતું, તેમાં ટાઉન પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. કેટલાક અધિકારીઓના બાંધકામ કોમર્શિયલ પ્રકારના હોવાનું સામે આવતા તત્કાલીન મામલતદાર પી.કે. જોષીએ RTI દ્વારા માહિતી માંગી વિવાદને વેગ આપ્યો હતો. આ ફરિયાદોના આધારે જિલ્લા કલેક્ટરે બાંધકામ તોડી જમીન ‘શ્રી સરકાર’ કરવાના હુકમો કર્યા હતા, જેનું અમલીકરણ કરતા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે ડિમોલિશન હાથ ધર્યું છે.
કોના બાંધકામ તોડી પડાયા?
આ કાર્યવાહીની ઝપેટમાં આવેલા અધિકારીઓમાં તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલના અધિક કલેક્ટર ડી.કે. ભગત, સચિવાલયમાં ફરજ બજાવતા એમ.ડી. મીડિયા, નિવૃત્ત મામલતદાર વી.વી. મછાર, ટાઉન પ્લાનર એચ.વી. ગામિત, ડેડીયાપાડાના તત્કાલીન પ્રાંત અધિકારી સ્વ. ડી.એન. ચૌધરી તેમજ આર.એમ. ચૌધરી, આર.વી. બારિયા અને એલ.એમ. ડિંડોરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ પૈકીના બે અધિકારીઓએ હાલ આ મામલે સ્ટે મેળવ્યો હોવાનું જાણવા મળે છે.
ધારાસભ્યની પ્રતિક્રિયા: ‘સત્તાનો દુરુપયોગ થયો છે’
આ સમગ્ર મામલે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, તેમણે જિલ્લા સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને મળેલી માહિતી મુજબ 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું કે, અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી ટાઉન પ્લાનિંગની મંજૂરી વિના બાંધકામ કર્યું છે. સરકારી અધિકારી હોય કે પદાધિકારી, કાયદાના ભંગ બદલ દંડ થવો જ જોઈએ.
આ પણ વાંચો: Anand News: પેટલાદના પાળજ જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, LCB PI સસ્પેન્ડ

