Subsidy On DAP : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ રાહતની જાહેરાત કરતા ડીએપી ખાતર પર એક્સ્ટ્રા સબસિડીની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે રૂ. 3850 કરોડના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે.
આ નિર્ણયથી ડીએપી ખાતરના ભાવ યથાવત રહેશે, જે હેઠળ 50 કિલોની થેલી માત્ર રૂ. 1350માં ઉપલબ્ધ રહેશે. વધારાનો ખર્ચ સરકારે ઉપાડવાનો છે, જેનાથી ડીએપીના વૈશ્વિક ભાવની અસ્થિરતાનો બોજ ખેડૂતોને સહન ન કરવો પડે.
ખાતર સબસિડીમાં મોટો વધારો
2014થી 2023 સુધીના સમયગાળામાં ખાતરની સબસિડી 1.9 લાખ કરોડ રૂપિયા પહોંચી છે, જે 2004-2014ના સમયગાળાની તુલનામાં બમણાથી વધારે છે.
પીએમ પાક વીમા યોજનામાં પણ વિશેષ પ્રગતિ
2023-24માં પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોનો વીમો થયો, જેમાં 55% બિન-ઋણી ખેડૂતનો સમાવેશ થાય છે. આ યોજના 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે અને 20 લિસ્ટેડ વીમા કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
આ યોજનાએ વાવણીથી લઈ કાપણી પછી સુધીના નુકસાન સામે રક્ષણ પૂરું પાડ્યું છે અને કુદરતી આફતો તેમજ પ્રતિકૂળ હવામાનની અસરનો સામનો કરવામાં મદદરૂપ બની છે.