Ankit Sharma Murder Case વર્ષ ૨૦૨૦માં ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અધિકારી અંકિત શર્માની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યાના મામલે કડકડડૂમા કોર્ટે ન્યાયિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) ના કોર્પોરેટર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાએ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના એ ભયાનક દિવસની યાદોને ફરી તાજી કરી દીધી છે, જ્યારે માનવતાને શરમાવે તેવી રીતે એક પ્રતિભાશાળી અધિકારીની હત્યા કરવામાં આવી હતી.
Ankit Sharma Murder Case ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦: એક કાળો દિવસ
નાગરિકતા સુધારા કાયદા (CAA) ના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણો ૨૪ ફેબ્રુઆરીએ ભીષણ રમખાણોમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં ૫૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે દિવસે સાંજે ૫ વાગ્યાની આસપાસ અંકિત શર્મા ઘરવપરાશની વસ્તુઓ લેવા માટે નીકળ્યા હતા. બહાર ઉગ્ર બનેલી ભીડને શાંત પાડવા અને કાયદો હાથમાં ન લેવા માટે અંકિતે પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ તેમને બંધક બનાવી લીધા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ક્રૂરતાની પરાકાષ્ઠા: શરીર પર ૫૧ ઘા
અંકિત શર્માની હત્યા પાછળની દરિંદગીનો અંદાજ તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી લગાવી શકાય છે. હત્યારાઓએ અંકિતના માથા, ચહેરા, છાતી, પીઠ અને કમર પર ધારદાર હથિયારો વડે અનેકવાર પ્રહારો કર્યા હતા. રિપોર્ટ મુજબ, તેમના શરીર પર ૫૧ જેટલા ઘા હતા. આટલી ક્રૂરતા બાદ, તેમના મૃતદેહને ચાંદ બાગ પુલિયા નજીકના એક ગંદા નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પિતાની વ્યથા અને ન્યાયની લડાઈ
અંકિત શર્મા લાંબા સમય સુધી ઘરે ન પરત ફરતા તેમના પિતાએ દયાલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન તેમનો ક્ષત-વિક્ષત મૃતદેહ નાળામાંથી મળી આવ્યો હતો. અંકિતના પિતાએ પોતાની ફરિયાદમાં સીધો જ આરોપ લગાવ્યો હતો કે તાહિર હુસૈન અને તેના સાથીઓ જ આ હત્યા માટે જવાબદાર છે. વર્ષોની કાનૂની પ્રક્રિયા બાદ, આખરે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારીને પીડિત પરિવારને ન્યાય અપાવ્યો છે.

