PM Modi Vadodara Appeal વડોદરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ખોરવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને દેશના અર્થતંત્રને મજબૂત રાખવા અને વિદેશી મુદ્રાના ખર્ચને ઘટાડવા માટે તમામ ભારતીયોને નાના-નાના સંકલ્પ લેવા અને જીવનશૈલીમાં ફેરફાર કરવા માટે નમ્ર વિનંતી કરી છે.
PM Modi Vadodara Appeal ટીપે ટીપે ઘડો ભરાય: વિદેશી આયાત ઘટાડવા આહ્વાન
પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિદેશી મુદ્રાનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ની આયાત પાછળ વપરાય છે. આ બોજને હળવો કરવા માટે તેમણે નીચે મુજબના સૂચનો આપ્યા છે:
ઈંધણની બચત: જ્યાં શક્ય હોય ત્યાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવો.
ટ્રાન્સપોર્ટ: ખાનગી વાહનોને બદલે મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવો તેમજ ‘કાર પુલિંગ’ અપનાવવું.
ટેકનોલોજીનો ઉપયોગ: સરકારી અને ખાનગી કચેરીઓમાં ફિઝિકલ મીટિંગને બદલે વર્ચ્યુઅલ મીટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) ની સુવિધા વધારવી.
શિક્ષણ: શાળાઓમાં પણ ઓનલાઈન શિક્ષણના માધ્યમનો ઉપયોગ વધારવો જેથી અવરજવર અને ઈંધણનો બચાવ થઈ શકે.
સરદારના સ્વપ્ન પૂરા કરવા હું કટિબદ્ધ: PM મોદી
‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ સ્વીકારતી વખતે વડાપ્રધાન ભાવુક બન્યા હતા. તેમણે ગગજીભાઈ અને ટ્રસ્ટીઓને સંબોધતા કહ્યું કે:
“જ્યારે નામ સરદાર પટેલ સાથે જોડાયેલું હોય ત્યારે જવાબદારી અનેકગણી વધી જાય છે. તમે મને આ એવોર્ડ આપીને ચાલાકીપૂર્વક બાંધી દીધો છે. હું વિશ્વાસ અપાવું છું કે સરદારના સ્વપ્ન પૂરા કરવામાં હું કોઈ કચાશ નહીં રાખું અને ક્યારેય પાછો પણ નહીં પડું. ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે અને ઘરમાં (ગુજરાતમાં) સન્માન થાય ત્યારે તેનું ગૌરવ અનોખું હોય છે.”

