Rojaroji Monument Damage મહેમદાવાદની આગવી ઓળખ સમાન અને ઐતિહાસિક ધરોહર ધરાવતી પ્રસિદ્ધ ઇમારત ‘રોજારોજી’ (Rojaroji) નો એક ભાગ ભારે વરસાદના લીધે તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને નબળા પડેલા માળખાને કારણે આ ઇમારતની નીચેની પાળીનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, સદનસબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Rojaroji Monument Damage : પુરાતત્વ વિભાગ એક્શનમાં
આ ઐતિહાસિક ઇમારત રાષ્ટ્રીય સ્મારક (National Monument) તરીકે સામેલ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ પુરાતત્વ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ મજૂમદારને તાત્કાલિક ધોરણે આ ઘટનાની સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને વહેલી તકે યુદ્ધના ધોરણે મરામતનું કામ કરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે પ્રાચીન ધરોહરોને નુકસાન થવાની આ ઘટનાથી ઇતિહાસ પ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

આ ઐતિહાસિક ઇમારતને બચાવવા અને તાત્કાલિક મરામત હાથ ધરવા માટે મહેમદાવાદના જાગૃત લેખક અને પત્રકાર મુસ્તાક મલેકે વિશેષ અને ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમણે આ મામલે સેન્ટ્રલ પુરાતત્વ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટને ફોન પર જાણ કરીને કટોકટીના પગલાં લેવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, ઇમારતના કેર ટેકર સુલતાન દિવાને પણ પુરાતત્વ ઓફિસમાં આ અંગે જાણ કરી હતી. મુસ્તાક મલેકની આ વિશેષ રજૂઆત અને સક્રિયતાને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતે સત્વરે કામગીરી વહેલી તકે મરામત કરી આપવાની ખાતરી આપવામાં આવી છે.

